ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2015

આંધળા નગીનદાસ સંઘવી અને ‘સરગટ’ પત્રકારત્વ

નગીનદાસ સંઘવી લખે છે, “આપ માટે દિલ્હી બહુ દૂર છે” (કળશ પૂર્તિ, દિવ્ય ભાસ્કર). આ લેખમાં સંઘવી કહે છે કે હવે દેશમાં જાતિ, કોમ પર વોટ લેતા લોકો અપ્રસ્તુત બની ગયા છે, જેમ કે માયાવતી. આગળ કહે છે કે હિન્દુત્વવાદી પક્ષો પણ નહીં ચાલે. અહીં તેઓ ભાજપનું નામ લેતા નથી. નગીનદાસ દિવ્ય ભાસ્કરના જે કળશ પર બેઠા છે એના પાના પર એક નજર નાંખે. બધા કોલમ લેખકો બ્રાહ્મણ છે. તેઓ આખી દુનિયાની પંચાત કરે છે અને એવા ઘમંડમાં રાચે છે કે ભારતની પ્રજાનો મત અમે ઘડીએ છીએ. શું આ જાતિવાદ નથીનગીનદાસ સંઘવી માયાવતીને જાતિવાદી કહેતા પહેલાં એમના ગાંધીવાદી ઝભ્ભા પર ચોંટેલુ જાતિવાદનું ગૂ સાફ કરે. 

શુક્રવાર, 30 જાન્યુઆરી, 2015

ચાલો, ગાંધીજીના એક હાથમાં ત્રિશુળ અને બીજા હાથમાં ગીતા પકડાવી દઇએ

ગાંધી નિર્વાણ દિવસે ગુજરાતના ગાંધીવાદીઓ ભેગા થઇને શું ચર્ચા કરે છે? દેશમાં ભૂખે મરતા વીસ કરોડ લોકો કે એ લોકોના મજુરી કરતા-ભીખ માગતા કુપોષિત, ડ્રોપઆઉટ બાળકોની ગાંધીવાદીઓ ચર્ચા કરતા હશે એવું તમે માનતા હો તો તમારો જેવો ગધેડો દુનિયામાં કોઈ નહીં હોય. આજના અખબારી અહેવાલોના જણાવ્યા પ્રમાણે ગાંદીવાદીઓની સભામાં અમદાવાદના નવજીવન પ્રકાશનના મેનેજર વિવેક દેસાઈએ કહ્યું કે ગાંધીજીનો ચરખો નોઇઝ પોલ્યુશન પેદા કરે છે. હવે આ ચરખો ફેંકી દેવો જોઇએ. વિવેકભાઈ આગળ કહે છે કે અમારી અને ગુજરાત વિદ્યાપીઠની વચ્ચે એક દિવાલ છે, પરંતુ અમારી વચ્ચે વૈચારિક મતભેદ છે. આ સભામાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદી પટેલ હાજર હતા એ સૂચક બાબત છે.

વિવેકભાઈએ શું આનંદબેનના મનની વાત કરી? ગાંધીજીને ચડ્ડી અને માથે કાળી ટોપી પહેરાવીને એક હાથમાં ત્રિશુળ અને બીજા હાથમાં ગીતા પકડાવી દઇએ તો આઇકોનની ભવ્યતા કેવી વધશે? હવે ગાંધીજી ચરખા સાથે આઉટડેટેડ લાગે છે. આનંદીબહેનનો સઘંપરિવાર આવા ગાંધીનું તો ખોબે ખોબે સ્વાગત કરશે? પ્રકાશ શાહ, ઇલા ભટ્ટ, નારાયણદાદા જેવા ગાંધીવાદીઓએ આ અંગે પ્રકાશ પાડવો રહ્યો. 

બુધવાર, 28 જાન્યુઆરી, 2015

એક છીયો બોરડર પર

મારા ચાર છીયા સે. ઇમ હઉથી મોટો પંદર વરહનો. નામ એનું ડાહ્યો. જેવા નામ એવા ગુણ. મારી મીલ બંધ પડી ત્યારથી ડાહ્યો કામે ચડી ગયો સે. મઇને દાડે હજાર રૂપિયા કમાઇને લાવે સે. હવારે હાત વાગીયાનો નેકરી જાય સે ઘેરથી તે રાતે દસ વાગે પાસો આવે સે. મન ઇની બઉ ચિંતા ફીકર થાય સે. કેમ કે ઇની ચાની કીટલી આ હામી બોરડર પર જ આવેલી સે. ના હમજ્યા? આ બાજુ અમારી વસતી ન પેલી બાજુ પેલા મીંયોની વસતી. મારો છીયો તંઇ બોરડર પર જ કીટલી ચલાવે સે. પેલી મારી હાહુ નીજન્ના ભારતી કેય સે ન ક મારે એક છીયાને બોર્ડર પર મોકલવો. લે આ મોકલી દીધો. 

શુક્રવાર, 2 જાન્યુઆરી, 2015

હિન્દુત્વનો મલમ

પાટનગરમાં સમાજ કલ્યાણ ખાતાના પ્રધાનની કેબિન આગળ એક યુવાન કલાકથી ઉભો છે. એના થાકેલા ચહેરા પર આક્રોશ મિશ્રિત દુ:ખની રેખાઓ તણાયેલી છે. એના કપડાં પર ચોંટેલી ધૂળમાં લોહીનાં ટીંપા એવી રીતે ગોઠવાયા છે કે જાણે ગોરંભાયેલા આભમાં લાલ લાલ તારલાં. એના ખભે ઝૂલતા વાદળી રંગના થેલામાં દાબી દાબીને કપડાં ને કાગળીયા ભર્યા છે ને થેલો હ્રદય રોગના હૂમલાનો ભોગ બનેલા કોઈ પૈસાદાર પેશન્ટના હાર્ટની જેમ ફાટુ ફાટુ થઈ રહ્યો છે.

થોડીવારે કેબિનનો દરવાજો ખૂલે છે અને એક પટાવાળો યુવાનને અંદર દોરી જાય છે. સામેની દિવાલે ડો. બાબાસાહેબ આંબેડકરનું દસ બાય પાંચ ફુટનું વિશાળ તૈલચિત્ર લટકી રહ્યું છે. યુવાન બે ઘડી બાબાસાહેબ સામે જોઈ રહ્યો છે. "બાબાસાહેબ ગુસ્સામાં હોય એવું કેમ લાગે છે મને" એ મનોમન પોતની જાતને સવાલ પૂછે છે.

બાજુમાં એક વિશાળ ટેબલ પાછળ મંત્રીશ્રી બેઠા છે. એમના ગોળમટોળ, કાળા ડિબાંગ ચહેરા પર ગોલ્ડન ફ્રેમના ચશ્મા પરાણે ગોઠવાયેલા છે. ચશ્માથી પોતે ખાસા ઇન્ટેલિજન્ટ લાગે છે એ વાતનો મંત્રીશ્રીને ખ્યાલ હોય એવું સ્પષ્ટ જણાય છે.

મંત્રીશ્રી: શું ફરિયાદ છે તારી

યુવાન: સાહેબ, હું સૌરાષ્ટ્રના ગામડાનો વતની છું. મારું નામ છે વિજય સોસા. મારા ભાઈની કારડીયાઓએ હત્યા કરી છે. પોલિસ એમની ધરપકડ કરતી નથી. ગામમાં ગુનેગારો ખુલ્લેઆમ ફરે છે.

મંત્રીશ્રી: સમાજ કલ્યાણ અધિકારીને તારા ગામે મોકલું છું રીપોર્ટ કરવા. તને વળતર મળી જશે.

યુવાન: સાહેબ, મારે વળતર નથી જોઇતું. ગુનેગારોને સજા કરાવો. ગઇ કાલે એમણે પાછો મારા પર હૂમલો કર્યો. (વાંકા વળીને બરડો મંત્રીશ્રીને બતાવતાં) ચાર ઇંચનો ઘા કર્યો ચપ્પુ મારીને.

(મંત્રીશ્રી બેલ વગાડીને પટાવાળાને બોલાવે છે.)

પટાવાળો: બોલો સાહેબ.

મંત્રીશ્રી: (પટાવાળા તરફ હાથ લાંબો કરીને) આ વિજય સોસાને પહેલાં તો મારા ઘરે લઇ જા. સુંદર સુરુચિપૂર્ણ ભોજન જમાડ અને પછી બગોદરા ચોકડી પર આવેલા આશ્રમમાં સ્વામી આદિત્યનાથના સાનિંધ્યમાં તેને લઈ જા.

(પટાવાળો યુવાનને સાહેબના ઘરે જમાડીને પછી આશ્રમમાં લઈ જાય છે. સ્વામીજી એક રૂમમાં પલાંઠી વાળીને પદ્યાસનની મુદ્રામાં બેઠા છે. યુવાન સ્વામીજીના ચરણોમાં પડે છે.)

યુવાન: સ્વામીજી, મને બચાવો. મારી રક્ષા કરો.

સ્વામીજી: વત્સ. મારા આશ્રમમાં તારો વાળ વાંકો નહીં થાય. આ તારું "ઘર" સમજ. તું તારા ઘરમાં જ આવ્યો છે. હવે તારો શર્ટ કાઢી નાંખ.

(સ્વામીજી યુવાનની પાછળ જાય છે. મોંઢામાંથી થૂંક હથેળીમાં કાઢે છે અને હળવેથી યુવાનના બરડે પડેલા ઘા પર લગાવે છે.)

યુવાન: બહુ ઠંડક વળી, સ્વામીજી એ શું હતું


સ્વામીજી: બેટા, એ હિન્દુત્વનો મલમ હતો. તારો ઘા જલ્દી રૂઝાઈ જશે. 

મંગળવાર, 22 એપ્રિલ, 2014

ઇટાલી, રાહુલ અને મોદી



રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી બંને ઇટાલી સાથે નાતો ધરાવે છે. એકને લોહીની સગાઈ છે, બીજાનો વૈચારિક નાતો છે. ઇટાલી રાહુલના મામાનું ઘર છે એ તો સૌ જાણે છે. પરંતુ નરેન્દ્ર મોદી જેના માનસપુત્ર છે એવા ડૉ. મુંજે, સાવરકર અને ગોલવેલકર ઇટાલીના ફાસિસ્ટ સરમુખત્યાર મુસોલીનીના આંધળા પ્રસંશક હતા અને ઇટાલીની આ ફાસિસ્ટ વિચારધારામાંથી પ્રેરણા મેળવીને રાષ્ટ્રિય સ્વંયસેવક સંઘ (આરએસએસ)નું ઘડતર થયું હતું એ હકીકત બહુ ઓછા લોકો જાણે છે. 

ડૉ. મુંજે ડૉ. હેડગેવારના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ હતા. ગોળમેજી પરિષદમાંથી પાછા ફર્યા બાદ ડૉ. મુંજે યુરોપના પ્રવાસે ગયા હતા અને ત્યારે તેઓ ઇટાલીમાં મુસોલીનીને મળ્યા હતા. ડૉ. મુંજેએ તેમના આ પ્રવાસનું રસપ્રદ વર્ણન તેમની ડાયરીમાં કર્યું છે. નેહરુ મેમોરીયલ મ્યુઝિયમ એન્ડ લાયબ્રેરીમાં મુંજેઝ પેપર્સ નામની માઇક્રોફિલ્મમાં આ ઇતિહાસ આજે પણ સચવાયેલો છે. 

19મી માર્ચ, 1931એ મુંજેએ મિલિટરી કોલેજ, સેન્ટ્રલ મિલિટરી સ્કુલ ઑફ ફિઝિકલ એજ્યુકેશન, ધી ફાસિસ્ટ એકેડમી ઑફ ફિઝિકલ એજ્યુકેશન તેમજ બલિલા અને આવાંગાર્ડિસ્ટ સંગઠનોની મુલાકાત લીધી હતી. મુંજે તેમની ડાયરીમાં લખે છે, "બલિલા સંગઠન અને સમગ્ર સંગઠનના વિચારોએ મને સૌથી વધારે અપીલ કરી છે. જોકે, તેમનામાં હજુ ઉર્ધ્વ કક્ષાની શિસ્ત અને સંગઠન નથી. આ સમગ્ર વિચારની મુસોલીનીએ ઇટાલીના પુન:નિર્માણ માટે કલ્પના કરી છે. ઇટાલીયનો સ્વભાવે ભારતીયો જેવા શાંતિપ્રય અને બિન-લશ્કરી જણાય છે. ભારતીયોની જેમ તેમણે શાંતિના કાર્યનું સંવર્ધન કર્યું છે અને યુદ્ધની કલાનું સંવર્ધન કર્યું નથી. મુસોલીનીએ તેના દેશની અનિવાર્ય નબળાઈ નિરખી અને બલિલા સંગઠનનો વિચાર કર્યો ....... ઇટાલીના લશ્કરીકરણ માટે આનાથી સારો વિચાર થઈ શક્યો ના હોત. ......... ફાસિઝમનો વિચાર લોકોમાં એકતાને ગતિશીલ રીતે બહાર લાવે છે. ........ ભારત અને ખાસ કરીને હિન્દુ ભારતને હિન્દુઓના લશ્કરી પુન:નિર્માણ માટે આવી જ કોઈ સંસ્થાની જરૂર છે, જેથી બ્રિટિશ શાસકોએ હિન્દુઓમાં કરેલો લશ્કરી અને બિન-લશ્કરી વર્ગોનો કૃત્રિમ ભેદ નાબૂદ થઈ શકે. ડૉ. હેડગેવારના નેજા નીચેનું આપણું નાગપુરનું સંગઠન - જોકે તદ્દન સ્વતંત્રપણે વિચારાયું છે તો - પણ આ પ્રકારનું છે. હું મારા જીવનનો શેષ ભાગ ડૉ. હેડગેવારની આ સંસ્થાને સમગ્ર મહારાષ્ટ્ર અને અન્ય પ્રાંતોમાં વિકસાવવામાં અને વિસ્તારવામાં ખર્ચીશ."

ડૉ. મુંજે એ જ દિવસે ઇટાલીની ફાસિસ્ટ સરકારના હેડક્વાર્ટર પલાઝો વેનેઝીયા ગયા, જ્યાં તે હિટલરના મિત્ર, ઇટાલીના ડિક્ટેટર મુસોલીનીને મળ્યા. મુંજેએ ડાયરીમાં આ મુલાકાતનું પણ રસપ્રદ વર્ણન કર્યું છે. તેઓ લખે છે, ".......... જેવો હું દરવાજે પહોંચ્યો કે તેઓ (મુસોલીની) ઉભા થયા અને મારું સ્વાગત કરવા આવ્યા. મેં તેમની સાથે હાથ મીલાવીને કહ્યું કે હું ડૉ. મુંજે છું. તેઓ મારા વિષે બધું જ જાણતા હતા અને એવું લાગતું હતું કે આઝાદી માટેના ભારતના જંગની ઘટનાઓનું બારીકીથી નિરીક્ષણ કરી રહ્યા હતા. તેમને ગાંધી માટે અત્યંત માન હોય તેવું જણાતું હતું. ....... તેમણે મને ગાંધી અને તેમની ચળવળ વિષે પૂછ્યું અને એક સવાલ ખાસ પૂછ્યો કે ગોળમેજી પરિષદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શાંતિ આણશે કે કેમ. મેં કહ્યું કે જો બ્રિટન અમને સામ્રાજ્યના અન્ય સંસ્થાનો સાથે સરખો દરજ્જો આપશે તો સામ્રાજ્યમાં શાંતિપૂર્વક અને વફાદારીથી રહેવામાં અમને વાંધો હશે નહીં."

મુસોલીની સાથેની ડૉ. મુંજેની વાતચીતથી જણાય છે કે તેઓ અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા માગતા નહોતા. આ બાબતમાં હિન્દુ રાષ્ટ્રવાદીઓ અને કોંગ્રેસના વિચારો લગભગ સરખા હતા. કોંગ્રેસ અને હિન્દુ રાષ્ટ્રવાદીઓ વચ્ચે ફરક હતો તો માત્ર એટલો જ હતો કે ગાંધી-સરદારની કોંગ્રેસ અહિંસામાં માનતી હતી, હિન્દુ રાષ્ટ્રવાદીઓ હિંસામાં માનતા હતા. ભગતસિંહ જેવા ક્રાન્તિકારીઓ પણ હિંસામાં માનતા હતા, પરંતુ ભગતસિંહ હિન્દુ રાષ્ટ્રવાદી નહોતા. ભગતસિંહ મુસલમાનોને દુશ્મન ગણતા નહોતા અને તેઓ વ્યવસ્થા પરિવવર્તનમાં માનતા હતા. મુસોલીનીની મુલાકાતથી પ્રોત્સાહિત થયેલા ડૉ. મુંજે ભારત આવ્યા અને તેમણે હિન્દુઓના લશ્કરીકરણનું મિશન જોરશોરથી આરંભ્યું હતું.

ગુરુવાર, 17 એપ્રિલ, 2014

કોણ અનૈતિક છે?


બાપ્સ સ્વામિનારાયણ સંસ્થા (BAPS Swaminarayan Sanstha)ની વેબસાઇટ પર અક્ષરવત્સલદાસ નામનો સાધુ લખે છે, "નિમ્ન વર્ણોને દ્વિજત્વ આપવામાં, તેમનું સંસ્કૃતીકરણ કરવામાં ભગવાન સ્વામિનારાયણે ત્રીજું મહત્ત્વનું પગલું ભર્યું - એ વર્ણો પરથી અનૈતિકતાની છાપ ભૂંસવાનું. એ સમયે દલિત વર્ણો માટે સામાન્ય જનસમાજમાં સૂગ હતી, એમાં તેમની અનૈતિક વૃત્તિઓ પણ જવાબદાર હતી. સવર્ણોના તિરસ્કારને લીધે આજીવિકાનો ખૂબ મોટો પ્રાણપ્રશ્ન આ વર્ગ માટે હતો. જીવનના ગુજારા માટે કોઈ જ માર્ગ ન બચતાં આ વર્ગે અનૈતિક પ્રવૃત્તિઓનો પણ આશ્રય લેવો પડે એવા સંજોગો હતા. અને પરિણામે, એમના પર અનૈતિકતાનું આળ કાયમી બન્યું હતું."

આવા બાવાઓ એમની નબળાઈ છુપાવવા દલિતોના માથે અનૈતિકતાનું આળ નાંખે છે. આપણે શું આવા લોકને સાંખી લેવાના?

બુધવાર, 16 એપ્રિલ, 2014

ગુજરાત મેં વિકાસ હુઆ હૈ, આપ કા ક્યા ખયાલ હૈ?



થોડાક દિવસો પહેલા વડોદરા ચૌપાલ નામના કાર્યક્રમમાં એક ટીવી ચેનલની એન્કરે એક તરફ વડોદરાના મુસલમાનો અને બીજી તરફ હિન્દુઓને સરેઆમ રસ્તા પર ઉભા રાખીને મોદીના ગુણગાન ગાવાનો પ્રયાસ કર્યો. મુસલમાનોમાં પ્રો. બંદુકવાલાનો જાણીતો ચહેરો દેખાયો એટલે કાર્યક્રમ જોવાનું મન થયું. એન્કર બહેન ગુજરાત મેં વિકાસ હુઆ હૈ, આપ કા ક્યા ખયાલ હૈ?”ની જુની પુરાણી રેકર્ડ વગાડતા હતા અને મુસલમાન બિરાદર ના, ના વિકાસ કહાં હુઆ હૈ?, ચલો મેરે મોહલ્લે મેં, એવું કીધે રાખતા હતા. સામે ઉભા રહેલા સવર્ણ હિન્દુઓ (રીપીટ સવર્ણ હિન્દુઓ) મોદી નામના માણસે જબરો વિકાસ કર્યો એની રઢ લઇને બેઠેલા. અને બંદુકવાલા કેડેથી વાંકા વળીને ઉભા હતા, જાણે એમની પીઠ પર આખા દેશના સેક્યુલારિઝમનો ભાર ના હોય! એક વાર જે માણસને ભાનુ અધ્વર્યુએ બંદુકમાં સેવાની કારતૂસ કહીને બિરદાવેલો એ માણસ મુસલમાનોને સેકન્ડ ક્લાસ સિટિઝન બનાવી દીધા છે એની વાત લગભગ રડતા સાદે કહી રહ્યો હતો.

આ દ્રશ્ય જોઇને મને થયું કે મુસલમાનો શા માટે આ વિકાસના ટ્રેપમાં ફસાઈ ગયા છે કેમ સીધે સીધુ બોલતા નથી કે આ મોદી અને તેના જેવા ફાસિસ્ટ લોકો (એમાં વડોદરાનો ગુણવંત શાહ પણ આવી જાય જેને કેટલાક મુસલમાનો પોતાનો હમદર્દ ગણે છે) આ દેશમાં મુસલમાનોનું રાજકીય પ્રતિનિધિત્વ ખતમ કરવા કસમ ખાઇને બેઠા છે. માન્યું કે કેટલાક મુસલમાનો દાંડ છે, માફીયા છે, આતંકવાદી છે, પરંતુ શું સમગ્ર મુસલમાન કોમ નાલાયક છે? ગુજરાતમાં ભાજપને એક મુસલમાન નથી મળતો જે વિધાનસભ્ય થવાને લાયક હોય? રાજસભામાં મોકલવા માટે લાયક હોય? કોંગ્રેસને મૌલાના અબુલ કલામ આઝાદથી માંડીને રઉફ વલીઉલ્લા, અહેસાન જાફરી મળે છે. દેશના તમામ પક્ષોને મુસલમાનોમાં સારા માણસો મળે છે, જે રાજકીય પ્રતિનિધિત્વ માટે પૂરા કાબેલ હોય. કેમ ભાજપને મળતા નથી? પેલો સરેશવાલા મોદીની આટલી બધી ચમચાગીરી કરે છે, એને કેમ વિધાનસભાની ટિકિટ ના આપી સલમાનખાનને કેમ ના આપી
 
હકીકતમાં ભાજપ મુસલમાનોનું રાજકીય પ્રતિનિધિત્વ ઇચ્છતો જ નથી. આરએસએસ તો અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓને પણ વિધાનસભા કે સંસદમાં બેસાડવા લાયક ગણતો નથી. એ તો એમનો બાપ આંબેડકર એમની કરોડરજ્જુ નીચેના છિદ્રમાં ખીલો ઠોકીને ગયા છે એટલે બાપા કહીને બેસાડવા પડે છે. પરંતુ એમાં પણ સવર્ણ બહુમતીના જોરે એમના દલિત ગુલામો ચૂંટી લાવે છે. આ ગુલામો કેસરીયા સાફા પહેરીને ફરે છે અને મુસલમાનોના વિરોધમાં એમની વસતીના પ્રમાણ કરતા વધારે ફાળો નોંધાવે છે. 

હકીકત એ છે કે ગુજરાતમાં નવ મુસલમાનો 1981માં ચૂંટાઈને આવતા હતા, હવે માત્ર ત્રણ ચૂંટાઇને આવે છે અને વધેલી છ સીટો પર સવર્ણો (એસસીએસટીઓબીસી નહીં) ચૂંટાઈને આવે છે. મુસલમાનોને રાજકીય રીતે ખતમ કરવાની મુહિમનો મોદી સિપેહસાલાર છે અને સમગ્ર દેશમાં આજે જે કહેવાતા દેશભક્તોનું ટોળું મોદી મોદી કરી રહ્યું છે એ ટોળુ આ કારણસર જ મોદીને એમનો ભગવાન, નરોમાં ઇન્દ્ર સમજે છે. આ ટોળુ દલિતો-આદિવાસીઓના લોહીનું પણ તરસ્યું છે, પરંતુ દલિતો-આદિવાસીઓ સામેનો દ્વેષ મોઢાં પર બતાવતું નથી. આ ટોળું સમજે છે કે વગર ખંજરે મોદી મુસલમાનો-દલિતો-આદિવાસીઓની કત્લ કરતો હોય તો એને ખરેખર ઘરે ઘરે પહોંચાડવો જોઇએ. સંઘ પરિવારે પણ એટલે જ આ ચૂંટણીને આરપારની લડાઈ ગણી છે.