બુધવાર, 27 નવેમ્બર, 2013

સર, સિંઘલ બોલું છું



કોબરા પોસ્ટે બહાર પાડેલી ઑડીયો ટેપ્સ દરેક જાગૃત નાગરિકે સાંભળવા જેવી છે. નમોના ખાસ અમિત શાહે એક મહિલાની જાસુસી કરવાનું કામ એટીએસના વડા સિંઘલને સોંપ્યું હતું. ખાસા સપ્તાહો સુધી ચાલેલા ઘટનાક્રમ દરમિયાન સિંઘલે અમિત સાથે મોબાઇલ પર થયેલી તમામ વાતચીત રેકોર્ડ કરી લીધી હતી. ‘ગુડ ગવર્નન્સ’નો અભ્યાસ કરવા માગતા સંશોધકો જ નહીં, બલ્કે મોદીના રાજકીય વિરોધીઓને પણ આ ટેપ્સમાં રસ પડ્યો હોય તો તેની તમામ ક્રેડિટ અમિત શાહને આપવી પડે.

અમિત શાહ સોરાબુદ્દીન એનકાઉન્ટરમાં સંડોવાયેલા છે. ગુજરાતની મોદી-ભક્ત પ્રજા પ્રમાણિકપણે માને છે કે સોહરાબુદ્દીન ત્રાસવાદી હતો, બુટલેગર હતો, સ્મગલર હતો, એના ઘરના કુવામાંથી એકે 47 જેવી રાઇફલોનો જખીરો મળ્યો હતો, એટલે એને ઠાર મારવામાં કોઇએ કશું જ ખોટુ કર્યું નથી અને એની સાથે એની બૈરી પણ મરી ગઈ, એમાં પોલિસનો કંઇ જ વાંક નથી. સૂકા ભેગું લીલુ ક્યારેક બળે જ છે. આવું દિલથી માનનારા પ્રજાજનો જ્યારે આ ટેપમાં અમિત શાહને એવું બોલતા સાંભળે કે, "એ (પ્રદીપ શર્મા) વણઝારા કરતા પણ વધારે વખત જેલમાં રહેવો જોઇએ" ત્યારે એમને ભયંકર આઘાત લાગે છે. આમ પણ પોલિસની મથરાવટી મેલી છે અને રાજકારણીઓએ તો સમગ્ર પોલિસતંત્રનો રખાત તરીકે ઉપયોગ કર્યો હોય એવું સ્પષ્ટ જણાય છે.   

મોદી-ભક્તોના નમો પ્રત્યેના પ્રેમમાં લગીરે ઓટ આવે એવું અમે ઇચ્છતા નથી. પરંતુ આ ટેપ્સ દરેક મોદી-ભક્તે અચૂક સાંભળવા જેવી છે. આ ટેપ્સ સાંભળ્યા પછી લાગે છે કે અમિત શાહ સાવ નવરો માણસ છે. એને કોઈ કામધંધો નથી અને એક સ્ત્રી પાછળ આદુ ખાઈને પડ્યા છે. કદાચ આવા બેજવાબદાર માણસોને કારણે જ ગુજરાતની દસ હજાર કરતા વધારે સગીર કન્યાઓ રાજ્યની બહાર કુટણખાનાઓમાં વેચાઈ ગઈ હશે. 

ગામના કોઈ ખૂણે પાડો મૂતરે એના માટે પણ મુખ્યમંત્રીને જવાબદાર ઠેરવવાની માનસિકતામાંથી તો બચવું જ રહ્યું. પરંતુ, જે લોકો આતંકવાદ વિરોધી ઓપરેશન્સ જેવા મહત્વના કામોમાં પરોવાયા હોય તેમને આવા પારકી પંચાતના કામે ધંધે લગાડી દેવાના હોય તો આતંકવાદથી પ્રજાને બચાવવાની વાતો તો કેવળ ગુલબાંગો જ કહેવાય. કદાચ આવી માનસિકતાને કારણે જ ગુજરાતમાં આતંકવાદમાં અસંખ્ય નિર્દોષ માણસો માર્યા ગયા હશે. 

ખેર, હાલ તો અમિત-મોદીની પોલ ઉઘાડનારી આ ટેપ્સ જાહેર કરવા બદલ સિંઘલને સલામ.