રવિવાર, 9 માર્ચ, 2014

કોણ તકવાદી

 ફરી એકવાર ગુણવંત શાહે દિવ્ય ભાસ્કરમાં એક વધુ ગંધાતો લેખ લખીને ફેકુની વડાપ્રધાનપદની દાવેદારીને આડકતરું સમર્થન કર્યું. ગુણવંત લખે છે, દલિત વોટબેન્ક માટે માયાવતી ગમે તે હદે જઇ શકે છે. મુસ્લિમ વોટબેન્ક માટે મુલાયમ ગમે તે હદે જઈ શકે છે. ગુણવંત અહીં એક વાક્ય ઉમેરી શક્યા હોત કે, હિન્દુ વોટબેન્ક જાળવવા મોદી ગમે તે હદે જઈ શકે છે. પછી ગુણવંત લખે છે કે, આ દેશમાં માત્ર બે જ પક્ષો સત્તા મેળવવા માટે લાયક છે, કોંગ્રેસ અને ભાજપ. કેમ કે, પ્રાદેશિક પક્ષો તકવાદી છે. ગુણવંત ક્યારે એ હકીકત સમજશે કે પ્રાદેશિક પક્ષોને ભાંડવાની આ માનસિકતા દેશની અખંડિતતા માટે ખતરનાક છે. આ દેશના સંઘીય (ફેડરલ) ચરિત્રને સમજી નહીં શકતા સંકીર્ણ, કટ્ટરવાદી લોકો પ્રાદેશિક પક્ષોનો વિરોધ કરે છે. યુપીએ કે એનડીએ પણ તકવાદીઓનો શંભુમેળો જ છે. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કર્યા પછી ખાનપુરની જાહેરસભામાં ફેંકુએ કહેલું કે જેમણે એંસીના દાયકાનું જાતિવાદી ઝેર જોયું છે તેઓ કોઇપણ સંજોગોમાં કોંગ્રેસ સત્તા પર આવે તેવું ઇચ્છતા નથી. ફેંકુએ અહીં કયા જાતિવાદી ઝેરનો નિર્દેશ કર્યો હતો? એ કહેવાતું ઝેર એટલે કોંગ્રેસે બક્ષી પંચની પછાત જાતિઓ માટે વધારેલી અનામત. આજે ફેંકુ પોતાને પીછડી જાતિનો કહીને વોટ માગે છે, પરંતુ 1985માં બીજેપી કોંગ્રેસને ખતમ કરવા અનામત વિરોધી આંદોલનને સમર્થન આપી રહી હતી. ગુજરાતમાં ફેંકુ જે બાબતને જાતિવાદી ઝેર ગણાવે છે તે જ બાબતને બિહારમાં પાસવાનને એનડીએમાં સાથે લઇને જાતિવાદી ઝેરનો સ્વીકાર કરે છે. આનાથી મોટો તકવાદ કયો છે?